WhatsApp Skip to main content

Dr. Harsh J Shah

પિત્તાશયની પથરી

પિત્તાશયની પથરીનું ઓપરેશન ક્યારે જરૂરી છે?

Dr Harsh Shah · MS, MCh (GI), DrNB

કૉલ કરો

પિત્તાશયની પથરી અને રેતઘડિયાળ — ઓપરેશન ક્યારે જરૂરી છે
ટૂંકમાં
એક વાર દુખાવો થયો હોય તો ઓપરેશનની સલાહ — એ પાછો આવે છે. દુખાવો ક્યારેય ન થયો હોય તો વર્ષે એક ultrasound સાથે રાહ જોઈ શકાય.
ઓપરેશન ક્યારે જરૂરી બને છે?લક્ષણ વગરની પથરીનું શું કરવું?ક્યારે રાહ જોવી યોગ્ય નથી?ઓપરેશન કેવી રીતે થાય છે?ઓપરેશન પહેલાં શું તૈયારી થાય છે?રાહ જોવાથી ઓપરેશન કેમ અઘરું બને છે?

ઓપરેશન ક્યારે જરૂરી બને છે?

જો પથરીએ એક વાર પણ દુખાવો આપ્યો હોય, તો ઓપરેશનની સલાહ અપાય છે. આ દુખાવો પાછો આવે છે, અને દર વખતે તકલીફ મોટી થવાની શક્યતા રહે છે. લક્ષણ વગરની પથરીમાં રાહ જોઈ શકાય, જો કોઈ જોખમની વાત ન હોય.

હું રોજ OPD માં જોઉં છું કે લોકો પહેલો દુખાવો સહી લે છે અને માને છે કે વાત પતી ગઈ. હકીકતમાં એ શરૂઆત હોય છે.

લક્ષણ વગરની પથરીનું શું કરવું?

ઘણી વાર પથરી બીજી કોઈ તપાસમાં અચાનક મળી આવે છે અને ક્યારેય દુખાવો થયો જ નથી હોતો. આવી પથરીને silent stones કહે છે. મોટા ભાગના લોકોમાં એ જિંદગીભર શાંત રહે છે. અહીં અમે રાહ જોઈએ છીએ અને વર્ષે એક વાર ultrasound ફરી કરાવીએ છીએ.

પણ આમાં અપવાદ છે. આ પરિસ્થિતિમાં દુખાવો ન હોવા છતાં અમે ઓપરેશનની સલાહ આપીએ છીએ:

તમને diabetes હોય
પથરી ખૂબ મોટી હોય
પિત્તાશયની દીવાલ જાડી થઈ ગઈ હોય
પિત્તાશયમાં polyp દેખાતો હોય

આમાંનું કંઈ પણ હોય, તો “દુખાવો નથી એટલે ચિંતા નથી” એ વિચાર સાચો રહેતો નથી.

ક્યારે રાહ જોવી યોગ્ય નથી?

અમુક પરિસ્થિતિમાં ઓપરેશન ટાળવું સીધું જોખમ છે. અહીં મોડું થાય તો infection ફેલાઈ શકે, પિત્તનળી બંધ થઈ શકે, અથવા સ્વાદુપિંડમાં સોજો આવી શકે. આ ત્રણેય સ્થિતિ દાખલ થવાની જરૂર ઊભી કરે છે અને ઓપરેશનને અઘરું બનાવે છે.

પરિસ્થિતિ શું થઈ રહ્યું છે કેટલી રાહ
વારંવાર દુખાવો પથરી વારંવાર રસ્તો રોકે છે વહેલું ઓપરેશન નક્કી કરો
Cholecystitis પિત્તાશયમાં infection તાત્કાલિક, દાખલ થવું પડે
પિત્તનળીમાં પથરી પીળાશ, અવરોધ કલાકોમાં, ERCP લાગી શકે
Pancreatitis સ્વાદુપિંડમાં સોજો તાત્કાલિક દાખલ
જાડી દીવાલ કે polyp કેન્સરનું જોખમ વધ્યું ટાળશો નહીં

છેલ્લો મુદ્દો ખાસ અગત્યનો છે. વર્ષોથી પડી રહેલી પથરી અને જાડી દીવાલ સાથે gallbladder cancer નું જોખમ વધે છે. પશ્ચિમ ભારતમાં આ કેન્સર બાકી દેશ કરતાં વધારે જોવા મળે છે.

ઓપરેશન કેવી રીતે થાય છે?

આજે લગભગ બધા કેસમાં laparoscopic cholecystectomy થાય છે, એટલે દૂરબીનથી થતું ઓપરેશન. પેટમાં ત્રણ-ચાર નાના કાણાં પડે છે, મોટો કાપ પડતો નથી. આખું પિત્તાશય કાઢવામાં આવે છે, માત્ર પથરી નહીં — કારણ કે જે કોથળીએ એક વાર પથરી બનાવી, એ ફરી બનાવશે.

મોટા ભાગના પેશન્ટ બીજા દિવસે ઘરે જાય છે. અઠવાડિયામાં હળવું કામ શરૂ થઈ જાય છે.

પ્રક્રિયાની વિગત gallbladder removal પર વાંચી શકાય છે.

ઓપરેશન પહેલાં શું તૈયારી થાય છે?

થોડી પાયાની તપાસ થાય છે — લોહીની તપાસ, લીવર function, જરૂર પડે તો ECG અને છાતીનો X-ray. anaesthesia ની ટીમ અલગથી તપાસે છે, ખાસ કરીને diabetes, હૃદય કે ફેફસાંની જૂની તકલીફ હોય તો.

ઓપરેશનના આશરે છ કલાક પહેલાંથી ખાવા-પીવાનું બંધ રહે છે. લોહી પાતળું કરવાની દવા પહેલેથી બંધ કરવી પડી શકે, એટલે તમારી બધી દવાઓની યાદી પહેલેથી બતાવી દો.

રાહ જોવાથી ઓપરેશન કેમ અઘરું બને છે?

આ મુદ્દો ઘણા લોકો ચૂકી જાય છે. શાંતિથી કરેલું અને કટોકટીમાં કરેલું ઓપરેશન સરખાં નથી.

વારંવારના હુમલા પછી પિત્તાશયની આસપાસ ચોંટ અને સોજો બને છે. એવી કોથળીમાં દૂરબીનથી કામ કરવું અઘરું પડે છે, મોટા કાપમાં ફેરવવાની શક્યતા વધે છે, અને દવાખાનામાં દિવસો પણ વધારે લાગે છે.

એટલે નિર્ણય વહેલો લેવો એ માત્ર દુખાવો ટાળવાની વાત નથી. એ ઓપરેશનને સહેલું અને સલામત રાખવાની વાત પણ છે.

ખર્ચ અને વીમાનું શું?

આ ઓપરેશન મોટા ભાગની insurance policy માં કવર થાય છે, અને CGHS તથા ONGC પેનલમાં પણ આવે છે. મોટા ભાગના કેસમાં આ day-care અથવા એક રાત દાખલ રહેવાનો મામલો રહે છે, એટલે ખર્ચનો અંદાજ પહેલેથી મળી જાય છે.

હાલના પેકેજ અને વીમાની પૂરી માહિતી પિત્તાશયની પથરીનું ઓપરેશન પેજ પર આપેલી છે.

ડોક્ટરને તાત્કાલિક ક્યારે મળવું?

આમાંથી કંઈ પણ દેખાય તો કલાકો મહત્વના છે, દિવસો નહીં. આ પિત્તનળીમાં અવરોધ કે infection ના સંકેત છે, અને એમાં મોડું થવું સીધું જોખમ છે.

તાત્કાલિક મળો
આંખ કે ચામડીમાં પીળાશ
સાથે તાવ અને ધ્રુજારી
દુખાવો કલાકો સુધી ઓછો ન થાય
ઘેરા રંગનું urine અને સફેદ ઝાડા
વગર કારણ વજન ઘટવા લાગે
પિત્તાશયની પથરીમાં તાત્કાલિક ડોક્ટરને મળવાના સંકેત
આમાંથી કંઈ દેખાય તો કલાકો મહત્વના છે

વારંવાર પુછાતા પ્રશ્નો

એક વાર દુખાવો થયા પછી પણ ટાળી શકાય?

ટાળી શકાય, પણ સમજદારી નથી. પહેલો દુખાવો કહે છે કે પથરી હવે રસ્તો રોકે છે. બીજો હુમલો ક્યારે આવશે એ નક્કી નથી, પણ આવશે જરૂર — અને ત્યારે પરિસ્થિતિ તમારી પસંદગીની નહીં હોય.

દવાથી પથરી ઓગળી શકે?

અમુક ખાસ પ્રકારની નાની cholesterol પથરી માટે દવા છે. પણ એ બહુ ઓછા લોકોમાં કામ કરે છે, વર્ષો લે છે, અને દવા બંધ કરતાં પથરી પાછી આવે છે.

માત્ર પથરી કાઢીને પિત્તાશય રહેવા દેવાય?

ના. એનાથી પથરી ફરી બનશે અને બીજું ઓપરેશન કરવું પડશે. આખું પિત્તાશય કાઢવું એ જ standard treatment છે.

પિત્તાશય કાઢ્યા પછી પાચન બગડી જશે?

ના. પિત્ત લીવર બનાવે છે, પિત્તાશય માત્ર સંગ્રહ કરે છે. શરૂઆતના બે-ત્રણ અઠવાડિયા સંભાળીને ખાવ, પછી લગભગ બધું સામાન્ય.

કઈ ઉંમર સુધી ઓપરેશન થઈ શકે?

ઉંમર એકલી અડચણ નથી. 80 વર્ષના પેશન્ટનું પણ laparoscopic ઓપરેશન સુરક્ષિત રીતે થાય છે, જો હૃદય અને ફેફસાં ઓપરેશન માટે તૈયાર હોય.

પિત્તાશયની પથરી સામાન્ય છે અને એનું ઓપરેશન સૌથી સુરક્ષિત ઓપરેશનમાંનું એક છે. ગભરાવાની જરૂર નથી — પણ એક વાર દુખાવો થઈ ગયો હોય તો ટાળવાની પણ નથી.

સંદર્ભ: Acute Cholecystitis — StatPearls, NCBI

આ પણ વાંચો

પિત્તાશયની પથરીમાં શું ખાવું જોઈએ?પિત્તાશયની પથરીનો દેશી ઈલાજ કામ કરે છે?પિત્તાશયની પથરીમાં શું ન ખાવું જોઈએ?

દુખાવો થઈ ગયો હોય તો ટાળશો નહીં.

+91 63555 64601

Rate this page
Dr. Harsh J Shah
Dr Harsh Shah - Surgical Gastroenterologist and GI Robotic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.